Quantcast
Channel: Entertainment and Fashion – chitralekha
Viewing all articles
Browse latest Browse all 158

અમિતાભના બાળપણનું એ ઘર…

$
0
0

બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનનો આજે 77મો જન્મદિવસ છે. હિન્દી ફિલ્મી દુનિયાના આ બેતાજ બાદશાહ, ‘શહેનશાહ’ની હકૂમતને જ અડધી સદી પૂરી થઈ ચૂકી છે. એમના જન્મદિવસ નિમિત્તે એમના વિશેનું કંઈક અલગ વાંચીએ…

(‘ચિત્રલેખા’ના ‘જી’ મેગેઝિનમાં પ્રકાશિત અમુક અંતરંગ, રોમાંચક વાતો-પ્રસંગોને અમે અહીં પુનઃપ્રકાશિત કરીએ છીએ. આ લેખ છે અમિતાભ વિશેષાંક, ૬ જાન્યુઆરી, ૨૦૦૭ અંકનો)


બિગ બી, બાળપણ અને અલાહાબાદ. સૌમ્ય વંદોપાધ્યાય લિખિત, બકુલ દવે અનુદિત પુસ્તકમાંથી ચાલો એ સંસ્મરણો માણીએ, એડેલ્ફી નામના ઘરમાં જઈને.

૧૯૪૨ના ઑક્ટોબરની ૧૧મીએ અલાહાબાદના કટરામાં ડૉ. બરારના નર્સિંગ હૉમમાં અમિતાભનો જન્મ થયો. પિતા હરિવંશરાય બચ્ચન (મૂળ અટક શ્રીવાસ્તવ) હિંદીના પ્રખ્યાત કવિ હતા અને અંગ્રેજીના પ્રાધ્યાપક. યોગાનુયોગ એ હતો કે એ દિવસે એ ઘરમાં અતિપ્રતિષ્ઠિત કવિ સુમિત્રાનંદન પંત મહેમાન હતા. મિત્રની પત્ની તેજીજીની કુખે પુત્રનો જન્મ થયો એટલે એ પણ દવાખાને ખબર કાઢવા ગયા. નોર્મલ ડિલિવરી. સાડાસાઠ પાઉન્ડ વજન. માથે કાળા ઘટ્ટાવાળ પંતજી જોતા જ રહી ગયા. નિષ્પલક પછી હરિવંશરાયને કહ્યુ‘. ‘બચ્ચન, એ કેટલો શાંત છે? જાણે ધ્યાનમગ્ન અમિતાભ.’ અમિતાભ એટલે સૂર્ય મહાન કવિની જીભે આમ અજાણતાં જ નામ આવી ગયું. હરિવંશરાય વિચારમાં પડ્યા. વાહ, એમણે તો ઉપમા આપી, પણ નામ તરીકેય કેટલું અદ્દભુત છે? અમિતાભ! બસ, છઠ્ઠીની રાહ જોયા વગર જન્મના દિવસે જ જાતકનું નામ પડી ગયું-અમિતાભ!

હરિવંશરાય આ રીતે સંસ્કાર સમૃદ્ધ હતા, મિત્ર સમૃદ્ધ હતા, પણ આર્થિક સ્થિતિ સામાન્ય હતી. એ અલાહાબાદમાં યુનિવર્સિટી પાસે બૅન્ક રોડના નવ નંબરના બંગલામાં રહેતા હતા. બંગલો કહેવાતું એ મકાન ખરેખર તો ક્વાર્ટર જેવું હતું. એનું માસિક ભાડું રૂપિયા પચાસ હતું. જે એ જમાનામાં અત્યારના હિસાબે બે હજાર જેવું તો ગણાય.

આ મકાનમાં અમિતાભના જીવનનું પરોઢ વીત્યું ગણાય. એ જ મકાનમાં અમિતાભ જ્યારે માત્ર છ મહિનાનો હતો ત્યારે હરિવંશરાયને યુનિવર્સિટીના ટ્રેનિંગ કોર દ્વારા છ અઠવાડિયાંની ટ્રેનિંગ માટે મહુ જવાનું થયું. એનાથી એમને આવકમાં વરસે બાસ્સો રૂપિયાનો માતબર વધારો થવાનો હતો. જો કે ટ્રેનિંગમાં જવા માટે માત્ર એ જ કારણ નહોતું. છત્રીસ વર્ષની થનગનાટભરી વય હતી એટલે લશ્કરી ટ્રેનિંગ મેળવવાની ચાનક ચડી હતી. અમસ્તુય એ વખતે ૧૯૪૨ના ‘ભારત  છોડો’ આંદોલને વેગ પકડ્યો હતો. એ જ દિવસોમાં આ ઘરમાં નાનકડો અમિતાભ કાંઈક શરારત કરતો ત્યારે તેજીજી એને ગ્રામોફોન સંભળાવીને શાંત કરી દેતાં. એ જ મકાનમાં અમિતાભને બાળકોને માટે સહજ એવી જરા ભારે કહેવાય તેવી માંદગી આવી હતી ને એ જ મકાનમાં અમિતાભને સાજો કરવા માટે હરિવંશરાયે શરાબ કાયમને માટે છોડી દેવાની, જીવનભર પાળવાની (અને પળાઈ) એવી બાધા લીધી હતી.

પિતા હરિવંશરાય, બાળક અમિતાભ અને માતા તેજી બચ્ચન

એ જ મકાનમા હતા ત્યારે એમને ફરીવાર (૧૯૪૪માં) લશ્કરી ટ્રેનિંગ માટે મહુ જવાનું થયું. એ વખતે પરિવાર સાથે રહી શકાય તેટલા વાસ્તે મહુમાં જ મકાન ભાડે મેળવાની નિષ્ફળ કોશિશ કરી. આ તરફ તેજીજીએ જોયું કે મકાનમાલિકે ભાડું વધારીને પચાસથી સિત્તેર કરી નાખ્યું. ત્યારે બીજું રહેણાક શોધવાની તજવીજ કરી અને એમાં સફળ પણ થયા. અલાહાબાદના સ્ટ્રેચી રોડ પર પાંત્રીસ રૂપિયાના ભાડાનો એક જૂનો બંગલો ભાડે લઈ લીધો. જૂના મકાનધણીએ પોતાની મુખત્યારીથી કરેલો ભાડા વધારો, અને એના કારણે પેદા થયેલી હાલાકી, નવું મકાન શોધવામાં પડેલી વિટંબણા વગેરેની કોઈ ચિંતા એમણે પતિ ઉપર નાખી નહીં. અરે હરિવંશરાય મહુથી પાછા ફર્યા તે પહેલાં તો એમણે મકાન ફેરવી પણ નાખ્યું.

સ્ટ્રેચી રોડ પરનું મકાન જોઈને હરિવંશરાય રાજી થયા. એ સુંદર હતું. જરા જૂનું હતું પણ અવાજનું પ્રદૂષણ ત્યાં નહોતું સ્પર્શતું. તકલીફ એ હતી કે નોકરીના સ્થળે, યુનિવર્સિટીએ પહોંચવા માટે લોકલ ટ્રેનની ફ્રીક્વન્સી ઓછી હતી અને સાઈકલ પર પહોંચવામાં ખાસ્સો સમય અને શ્રમ વપરાતા. આ રીતે સવારે એમને ભણાવવા માટે અને સાંજે પરેડ માટે જવું પડતું. થાક લાગતો. પણ મનમાં નિરાંત હતી, જ્યારે તેજીજીને શાકપાંદડું લેવા માટે સિવિલ લાઈન્સનું બજાર નજીક પડતું.

પણ આ સ્ટ્રેચી રોડના મકાનમાં જીવનની એક મહત્ત્વની ઘટનાનો અમિતાભને ચાર વર્ષની ઊગતી સમજણની વયે સાક્ષાત્કાર થયો. તેણે એ ઘરમાં દાદીમા સુરસતિદેવીનું મૃત્યું જોયું. એક રીતે એ કુદરતી હતું. એક રીતે એ ઈચ્છામૃત્યુ હતું કે જેમાં માણસ જીવનકાળ પૂરો થતો હોવાની પ્રતીતિ જાગૃતિપૂર્વક કરે છે. એ માટે કશા પણ ભય કે શોક વગર જાતને તૈયાર કરે છે. રોજ રાતે રામાયણની વાર્તા સંભળાવનારાં દાદીમાના નિશ્ર્ચેતન દેહને બાંધીને સ્મશાનઘાટ લઈ જવામાં આવ્યો ત્યારે અબોધ બાળક અમિતાભે પિતાને પૂછ્યું. ‘દાદીને ઉપાડીને બધા ક્યાં લઈ ગયા?’ તો પિતાએ જવાબ આપ્યો. ‘ભગવાન રામ પાસે.’

પિતા હરિવંશરાય સાથે અમિતાભ, અજિતાભ

આ મકાનના રહેવાસ દરમિયાન જ અમિતાભને એક આખલાએ શિંગડે ચડાવીને જખ્મી કર્યો હતો. આ જ મકાનમાં એમના યજ્ઞોપવિત સંસ્કારને કારણે મુંડનવિધિ થઈ હતી.

આ નિવાસી આજુબાજુનું વાતાવરણ જરા કલ્ચર્ડ હતું તેથી તેજીજી પણ એમાં રસ લેવા માંડ્યાં. સમાજસેવા કરનારી ઑલ ઈન્ડિયા વીમેન કૉન્ફરન્સમાં એ સભ્ય બન્યાં. એની પ્રવૃત્તિમાં ત્રણ-ચાર વર્ષના અમિતાભને સાથે લઈ જવા માંડ્યા. એ પહેલાં જગતતારિણી સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી લીધી. પણ દૂર પડવાથી છોડી પણ દીધી. અને તેને બદલે નાટક-ગીત-સંગીત વગેરેમાં રસ લેવા માંડ્યાં. સૌથી વધુ રસપ્રદ વાત તો એ કે આ ગાળા દરમિયાન જ તેજી બચ્ચન નેતાજી સુભાષચંદ્ર બોઝની લેડીઝ બ્રિગેડમાં જોડાયા અને થોડા જ સમયમાં કૅપ્ટન પણ બની ગયાં અને નેહરુપરિવારના આનંદભવનના ચોગાનમાં પરેડ પણ કરાવવા લાગ્યાં.

દરમિયાન કોઈક ઠાકુર તેજપ્રતાપ સિંહ હરિવંશરાયને આવી મળ્યા. તેજપ્રતાપ સિંહ રીવાની નજીક કોઠી નામની જાગીરના રાજાના ભાયાત હતા. બલકે નાનાભાઈ હતા. હતા તો શ્રીમંત પણ નાના મોટા ધંધામાં તેમને સારો એવો આર્થિક માર પડ્યો હતો. છેવટે તેમણે એક વ્યવસાય તરીકે એડેલ્ફી નામની કલબ શરૂ કરી હતી. આમ તો એમાં પત્તાં, ટેનિસ, બાર (શરાબખાનું) વગેરેની જોગવાઈ હતી જ. પણ ઠાકુરને સારી કમાણી કરવા સારું વિર્દ્યાીઓની એક હૉસ્ટેલ શરૂ કરવાનો મનસુબો મનમાં ઉપજ્યો. હૉસ્ટેલ હોય તો એક ગૃહપતિ પણ જોઈએ. આ કામ માટે તેમના મનમાં હરિવંશરાય વસી ગયા હતા. તેમણે આવીને એમને આ માટે રહેણાકની સગવડ સોની ઑફર મૂકી. હરિવંશરાયને તો ભાવતું તું ને વૈદે કહ્યું જેવું થયું. છતાં પત્નીને જગ્યા બતાવવી જરૂરી હતી. તેમનેય બતાવીને પસંદ પડી બે માળનું મકાન, ડાબી તરફ એડેલ્ફી કલબ, મકાનની સામે જ ખુલ્લી, જોવી ગમે એવી વિશાળ જગ્યા. સૌથી મોટી વાત તો એ કે યુનિવર્સિટીથી સાવ નજીક હતી.

અમિતાભ વયના ચાર વર્ષ પૂરાં કરવાની તૈયારીમાં હતો ૧૯૪૬ના જુલાઈમાં હરિવંશરાય પરિવાર સો એડેલ્ફી ખાતે રહેવા આવી ગયા. ખૂબ વિશાળ ઘર હતું. તેજીજી પણ પ્રસન્ન પ્રસન્ન થઈ ગયાં.

આ એડેલ્ફીમાં અમિતાભે વિતાવેલો સમયગાળો ઘણો મહત્ત્વનો હતો. કાકા શાલિગ્રામના સાળા જગદીશ રાજન જે અમિતાભથી થોડી મોટી વયના હતા તે પણ સાથે રહેવા આવી ગયા. અમિતાભને સોબત મળી. વળી ચાર વર્ષ પૂરાં થવાની જન્મદિવસની પાર્ટી ૧૧ ઑક્ટોબર, ૧૯૪૬ના દિવસે એડેલ્ફી હાઉસમાં જ યોજાઈ અને તેમાં પોતાનાથી બે વર્ષ નાના બાળમિત્ર મળ્યા. તે હતા રાજીવ ફિરોઝ ગાંધી! ફેન્સી ડ્રેસની બાળસ્પર્ધામાં રાજીવને ઈન્દિરાજી એક ધોબીનો વેશ પહેરાવીને લાવ્યાં હતાં. પણ થોડી વારમાં એમનાં એ વસ્ત્રો બગડ્યાં ને રાજીવને ચૂડીદાર પાયજામો અને ગાંધીટોપી પહેરાવવામાં આવ્યા. (અમિતાભે પછી તો લગભગ એ જ લિબાસમાં રાજીવ ગાંધીને કાયમ જોયાં, એ હકીકત સૌ જાણે છે.)

અમિતાભ, રાજીવ ગાંધી, દારા સિંઘ અને સંજય ગાંધી

એડેલ્ફી હાઉસમાં હતા તે દરમિયાન જ અમિતાભને અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં બેસાડવામાં આવ્યા.

આ જ એડેલ્ફીમાં ઠરીઠામ થયા હતા ત્યાં બીજો વજ્રાઘાત થયો. ઠાકુર તેજપ્રતાપ સિંહે મકાન ખાલી કરવા માટે આકરી નોટિસ આપી.

છેવટે કાળા ઉનાળામાં, ઓગળતા ડામરમાં ચોંટી જતાં પૈડાં સાથેની સાઈકલ ઉપર રઝળપાટ કરીને હરિવંશરાયે મહામહેનતે ૧૭, કલાઈવ રોડ ઉપર રહેણાક શોધી કાઢ્યું હતું. જે બહેતર હતું.

******

‘કોણ તમે?’

૧૯૯૪ કે ૧૯૯૫ની સાલ છે. જે મકાનના અધખુલ્લા બારણામાંથી આ રૂક્ષ સવાલ ડોરબેલ મારનાર પ્રૌઢ વયના પુરુષને પુછાય છે તે મકાનની  હાલતનો જરા અંદાજ લઈ લઈએ. એ મકાનના એક ભાગ ઉપર સરકારી તોલમાપ કચેરીનું બોર્ડ લાગેલું છે. મકાન તો અત્યંત જર્જરિત અવસ્થામાં છે. પણ મકાનધણી હજી એના એક ભાગમાં જ રહે છે તેમ આવનારાને કોઈએ માહિતી આપી છે. એટલે એ મકાનનો બીજો પણ રદ્દીના ગોડાઉન જેવો હિસ્સો પાર કરીને આવનાર ડોરબેલ (અર્થાત સાંકળ) મારે છે. બપોર નમી ગઈ છે. સાંજ ઢળવાની તૈયારીમાં છે. આવનાર ખૂબ રઝળપાટ કરીને આ જગ્યા શોધી શક્યો હશે તેમ લાગે છે.

‘હું સૌમ્ય વંદ્યોપાધ્યાય,’ આવનાર બોલે છે, ‘આ જ એડેલ્ફી?’

‘હા, પણ તેનું શું છે? તમે છો કોણ?’ બારણું ખોલનાર પ્રૌઢ વયનો માણસ પૂછે છે.

‘હું પત્રકાર છું. અને અમિતાભ બચ્ચન વિશે ગ્રંથ લખી રહ્યો છું. હું અંદર આવી શકું?’

એને અંદર પ્રવેશ તો મળે છે. પણ પરસ્પરને શોભે તેવો આવકાર નહીં. ખેર, સૌમ્ય વંદ્યોપાધ્યાયને રોમાંચ તો હતો જ. આ ઐતિહાસિક મકાન વિશે એને વિશેષ જાણવું હતું. જાણવા મળ્યું, માત્ર અત્યારે રહેનાર એવા આ દ્વાર ખોલનારનું નામ, ‘મારું નામ સંજય સિંહ. તેજપ્રતાપ સિંહ મારા પિતા થાય. હવે સ્વર્ગસ્થ છે.’

‘આ મકાન’ સૌમ્ય આંખો ચમકાવીને બોલે છે, ‘કે જેમાં અમિતાભ બચ્ચન જેવી મહાન હસ્તીનું કુમળું શૈશવ વીત્યું છે તે તો કરોડો લોકો માટે તીર્થસ્થાન કહેવાય. આ ઘરની પ્રત્યેક દીવાલ,’ એ દીવાલો ઉપર નજર લસરાવીને કહે છે, ‘ક્યારેક વિશ્ર્વવિખ્યાત બચ્ચન પરિવારની આશરો બની હતી.’

‘હા.’ સંજયસિંહ બોલ્યા, ‘અમે એ લોકોને એમના કપરા દિવસોમાં આશરો આપ્યો હતો એ તમારે લખવું જોઈએ. લોકોને જણાવવું જોઈએ, બાકી એ લોકોનું તો શું? મને તો બહુ ઈમ્પોર્ટન્સ લાગતું નથી.’

‘કેવા ખ્યાતનામ બાપ-દીકરા!’

‘અમારું આ ઘર એમના માટે શુકનવંતું નીકળ્યું. અહીં આવ્યા પછી જ હરિવંશરાયને ખ્યાતિ મળી અને અમિતાભ શું છે? અહીંના જ માહોલનો પ્રતાપ…’ (સજ્જન એવા સૌમ્ય બોલ્યા નથી. પણ હું હોઉં તો બોલ્યા વગર ના રહું કે તો તો આ મકાનમાં લાંબા સમય સુધી રહેનારા સૌ કોઈને એ ફળવું જોઈએ.)

(લેખકઃ રજનીકુમાર પંડ્યા)



Viewing all articles
Browse latest Browse all 158


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>