કરોડો ચાહકોના દિલમાં વર્ષો સુધી રાજ કરનાર બોલીવૂડની ‘રુપ કી રાની’ શ્રીદેવી આજે અહીં એમની અંતિમ સફરે નીકળ્યાં છે. શ્રીદેવીના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે અંધેરી (વેસ્ટ)ના લોખંડવાલા કોમ્પલેક્સ ખાતે સેલિબ્રેશન સ્પોર્ટસ ક્લબ ખાતે રખાયો હતો. ત્યાંથી એને ફૂલોથી સજાવેલી ટ્રકમાં વિલે પાર્લે (વેસ્ટ) સ્થિત સ્મશાનભૂમિ તરફ અંતિમ યાત્રા રૂપે લઈ જવામાં આવી રહ્યો છે.
બપોરે અઢી વાગ્યે સેલિબ્રેશન સ્પોર્ટ્સ ક્લબ ખાતેથી નીકળેલી શ્રીદેવીની અંતિમ યાત્રામાં હજારો પ્રશંસકો સામેલ થયા છે. શ્રીદેવીને સંપૂર્ણ રાજકીય સમ્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી રહી છે. ફૂલોથી સજાવેલી ટ્રક પર એમની વિશાળ કદની તસવીર મૂકવામાં આવી છે. ફૂલોથી સજાવેલી ટ્રકમાં શ્રીદેવીના નિર્માતા-પતિ બોની કપૂર, બોનીના પુત્ર અર્જૂન કપૂર અને ભાઈઓ અનિલ અને સંજય કપૂર છે.
બેઘડી માટે મારું હૈયું ધબકારા ચૂકી ગયું. જે શ્રીદેવીને ફિલ્મોમાં નટખટ, ચુલબુલી, હીરો સાથે નાચતીકૂદતી જોઈ એને આમ ચીર નિદ્રામાં પોઢેલી જોઈ. બુધવારે બપોરે ગ્રીન એકર્સમાં સેલિબ્રેશન ક્લબમાં શ્રીદેવીનું પાર્થિવ શરીર જોયું. લાલ સાડી. કપાળ પર ચાંદલો. નાકમાં રૂનાં પૂમડાં. ગળામાં દક્ષિણી ટાઈપ મંગળસૂત્ર. કેસરી રંગની શાલ ઓઢાડવામાં આવી હતી. શ્વાસોચ્છવાસ ચાલતા નહોતા. હોઠ સહેજ ખુલ્લા હતા. બાજુમાં પતિ બૉની કપૂર ચોધાર આંસુએ રડી રહ્યા હતા. પુત્રીઓ જ્હાન્વી-ખુશી પણ રડી રહી હતી. એક પછી એક સ્ટાર્સ આવતા જતા હતા. વિદ્યા બાલનથી પણ રહેવાયું નહીં ને એ પણ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી. રેખા બન્ને હાથે જ્હાન્વી-ખુશીને શાંત પાડી રહી હતી. સોનમ કપૂર પણ એમની સાથે જોડાઈ. રાની મુખરજી અંદર બધી અરેન્જમેન્ટ સંભાળી રહી હતી. એ પછી લગભગ અઢી વાગ્યે ફૂલોથી સજાવેલી ટ્રકમાં રાષ્ટ્રધ્વજમાં લપેટેલો શ્રીનો પાર્થિવ દેહ અંતિમ યાત્રા માટે નીકળ્યો ને આખરી સલામ ભરી હું ઑફિસે પાછો ફર્યો.
તે પૂર્વે સવારથી જ, શ્રીદેવીના નિવાસ સ્થાને તેમને શ્રદ્ધાંજલિ આપવા સિલેબ્રિટીઓ પહોંચવા લાગ્યા હતા. જેમાં ઐશ્વર્યા રાય-બચ્ચન, જયા બચ્ચન, કરીના કપૂર-ખાન, અજય દેવગણ અને કાજોલ, નીલ નીતિન મુકેશ, ફરાહ ખાન, જયાપ્રદા, સંજય કપૂર, સોનમ કપૂર સહિતના કલાકારો પહોંચ્યા હતા. ડ્રિમગર્લ-સંસદસભ્ય હેમા માલિની એમના પુત્રી એશા સાથે પહોંચ્યાં હતાં.શ્રીદેવીના પરિવાર દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, દુ:ખના સમયમાં તેમને સહકાર આપવા માટે ખુશી, જ્હાન્વી, બોની કપૂર તેમજ સમગ્ર કપૂર પરિવાર અને અય્યપ્પન પરિવાર તરફથી મીડિયા અને તમામ લોકોનો ધન્યવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
મંગળવારે મોડી રાત્રે શ્રીદેવીનો પાર્થિવ દેહ દુબઈથી મુંબઈ લાવવામાં આવ્યો હતો. શ્રીદેવીનો નશ્વર દેહ ગઈ આખી રાત તેમના લોખંડવાલા સ્થિત ‘ગ્રીસ એકર્સ’માં રાખવામાં આવ્યો હતો. જ્યાં પહેલેથી જ પ્રશંશકોની ભીડ એકત્ર થઈ હતી. ત્યાંથી આજે સવારે એને સેલીબ્રેશન સ્પોર્ટ્સ ક્લબના હોલમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો.
અહેવાલઃ કેતન મિસ્ત્રી (ગ્રીન એકર્સ, શ્રીદેવીનાં અંતિમ દર્શને)
વિડિયોઃ દીપક ધુરી